લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં પર્યુષણ મહાપર્વની આઠ દિવસની આરાધનાનો પ્રારંભ થશે

પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણા 34ની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈનસંઘ પાટણ દ્વારા પર્યુષણ મહાપર્વની આઠ દિવસની આરાધના આગામી 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે. પર્યુષણ પર્વની મહિમા સમજાવતા મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યુ હતું કે પર્વ એટલે તહેવાર. જેમાં પર્વ બે પ્રકારનાં હોય છે એક લૌકિક પર્વ અને બીજું આઘ્યાત્મિક પર્વ. લૌકિક પર્વ સ્થૂળ આનંદ અને ક્ષણિક સુખ માટે હોય છે. આઘ્યાત્મિક પર્વ સૂક્ષ્મ આનંદ અને શાશ્વત સુખ માટે હોય છે. પર્યુષણ પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારના ધર્મની આરાધના સમાયેલી હોય છે. પર્યુષણ પર્વ ચિત્તશુદ્ધિ,હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું પરમ પવિત્ર પર્વ છે. અજ્ઞાનમાંથી સમ્યગજ્ઞાન તરફ,સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લઇ જનારું પર્વ છે. મુનિરાજે કહ્યુ હતું કે પર્યુષણનો લાક્ષણિક અર્થ છે ‘આત્માની સમીપ વસવું’ આત્મવિજય માટે આત્મઓળખ અનિવાર્ય છે. આત્મતત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઇએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઇએ અને એ નિવૃત્તિમાં આત્મવિશ્લેષણની આંતરપ્રવૃત્તિ જોઇએ. આ પ્રસંગને લઈને ત્રિસ્તુતિક જૈન સંઘના અગ્રણીઓએ જણાવ્યુ હતું કે પર્યુષણ પર્વના આઠ દિવસ સુધી અનેક પ્રકારના ધાર્મિક સામાજિક અને જીવદયાના કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. તેમજ પ્રસંગને લઈને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં આકર્ષક મંડપ બનાવીને ભવ્ય સજાવટ કરવામાં આવી છે.