લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતે શ્રીલંકાને કોવિશિલ્ડ વેક્સિનના પાંચ લાખ યુનિટ્સ આપ્યા

કોરોના વાયરસ સામે આખી દુનિયા જંગ લડી રહી છે ત્યારે સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે.આ અભિયાનની સાથે જ ભારત પોતાના પાડોશી દેશો ઉપરાંત અન્ય મિત્ર રાષ્ટ્રોને પણ વેક્સિન પહોંચાડીને તેમની મદદ કરી રહ્યું છે.આ શ્રેણીમાં ભારત સરકારે એર ઇન્ડિયાના વિશેષ વિમાનથી ભેટ સ્વરૂપે કોવિશીલ્ડ વેક્સિનની એક ખેપ શ્રીલંકાને મોકલી,જેને આજે સવારે ઇન્ડિયન હાઈકમિશ્નર ગોપાલ બાગલેએ કોલંબોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આયોજિત એક સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેને સોંપી હતી.

આ વેક્સિન અભિયાન હેઠળ ભારતે શ્રીલંકાને કોવિશીલ્ડ વેક્સિનનો પાંચ લાખનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે. ભારતનું આ પગલું નેબરહુડ ફર્સ્ટ એટલે કે પહેલો સગો તે પાડોશી અને સાગર સિદ્ધાંત પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.આ એક યોગાનુયોગ છે કે વેક્સિન શ્રીલંકાના શુભ દિવસ ‘ડુરૂથુ પોયા’ના દિવસે પહોંચી છે. શ્રીલંકાની પરંપરા પ્રમાણે,આ દિવસે ભગવાન બુદ્ધ પહેલીવાર શ્રીલંકા પહોંચ્યા હતા.વેક્સિન સોંપ્યા પછી ઇન્ડિયન હાઈ કમિશ્નર બાગલે ગંગારામયા મંદિર પહોંચ્યા જ્યાં તેમણે ભારત અને શ્રીલંકાના લોકોના સ્વાસ્થ્ય અને કલ્યાણની કામના કરી.

આમ સપ્ટેમ્બર 2020માં શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલનનું આયોજન થયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં મહામારીના કારણે પેદા થયેલી સ્વાસ્થ્ય સંબંધી અને આર્થિક સમસ્યાઓને ઓછી કરવા માટે આશ્વાસન આપ્યું હતું.તેના ભાગરૂપે ભારત તરફથી શ્રીલંકાને કોવિડ-19ની રસીનું વિતરણ વડાપ્રધાન મોદીની તે જ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે.

આમ ઉલ્લેખનીય છે કે ભારતે આ પહેલા બાંગ્લાદેશ,નેપાળ,ભૂટાન,માલદીવ,સેશેલ્સ,મોરિશિયસ,મ્યાનમાર અને શ્રીલંકાને 54 લાખ વેક્સિનનો જથ્થો પૂરો પાડ્યો છે.આ સાથે જ અફઘાનિસ્તાનને પણ 5 લાખ વેક્સિનનો જથ્થો પહોંચાડવાની તૈયારી છે.જ્યારે મોરોક્કો અને બ્રાઝિલને ક્રમશઃ 20 લાખ અને બે લાખ જથ્થો વ્યવસાયિક અનુબંધન હેઠળ પૂરો પાડવામાં આવ્યો છે.

અગાઉ ભારતે મિત્ર ધર્મ નિભાવીને બાંગ્લાદેશ અને નેપાળને કોરોના વેક્સિનનો પહેલો જથ્થો પહોંચાડી દીધો છે. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઇન્ડિયાના પ્લેન દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિડશીલ્ડ વેક્સિન બન્ને દેશોને આપી છે.વેક્સિન મૈત્રી ડિપ્લોમેસી અંતર્ગત ભારતે ભેટ તરીકે બાંગ્લાદેશને વેક્સિનના 20 લાખ અને નેપાળને 10 લાખ ડોઝ આપ્યા છે.જ્યારે ભૂટાન અને માલદીવને પણ કોરોના વેક્સિનનો પહેલો જથ્થો મોકલાવ્યો હતો.તેમાં ભૂટાનને દોઢ લાખ અને માલદીવને એક લાખ ડોઝ મોકલવામા આવ્યા હતા.