લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આજે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટની સેમિફાઈનલ રમાશે

કોરોના વાયરસ બાદ ભારતની પહેલી ઘરેલું ટૂર્નામેન્ટ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.ત્યારે આજે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટની સેમિફાઈનલ રમાશે.જેમાં રાજસ્થાન અને તામીલનાડુ, વડોદરા અને પંજાબની ટીમ વચ્ચે ટક્કર થશે.આમ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ થવાની છે તેથી તેમાં પોતાના તરફ ફ્રેન્ચાઈઝીઓનું ધ્યાન ખેંચવા માટે ચારેય ટીમના ખેલાડીઓ એડીચોટીનું જોર લગાવશે.

આમ રાજસ્થાન પાસે મહિપાલ લોમરોર જેવો યુવા ટી-20 નિષ્ણાત બેટસમેન છે.જ્યારે દીપક અને રાહુલ ચાહર સાથે બોલરોમાં રવિ બિશ્ર્નોઈ,ખલીલ અહેમદ અને અનિકેત ચૌધરી છે.રાહુલ ચાહરે 11 વિકેટ મેળવી છે તો અંકિત લાંબાએ 198 રન બનાવ્યા છે.ત્યારે બીજીબાજુ તામીલનાડુ માટે એન.જગદીશન 100થી વધુની સરેરાશથી 322 રન બનાવી ચૂક્યો છે.કેપ્ટન દિનેશ કાર્તિક હજુસુધી અપેક્ષા પર ખરો ઉતર્યો નથી તેથી આજે તેનું સારું પ્રદર્શન જરૂરી બની જશે.સી.હરિ,નિશાંત,બાબા અપરાજિત અને કે.બી.અરુણ કાર્તિક પણ સારી ઈનિંગ રમવા માંગશે.આમ બોલરોમાં લેગ સ્પીનર મુરુગન અશ્ર્વિન અને ડાબોડી સ્પીનર સાઈ કિશોરથી પણ ટીમને ઘણી આશા રહેશે.

પંજાબ અને વડોદરા વચ્ચેના મુકાબલાની વાત કરવામાં આવે તો તેમાં સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્માની બોલિંગ રમવી વડોદરાના વિષ્ણુ સોલંકી માટે સરળ નહીં હોય.સોલંકીએ અગાઉ હરિયાણા વિરુદ્ધ રોમાંચક ક્વાર્ટર ફાઈનલમાં અંતિમ બોલ પર શાનદાર હેલિકોપ્ટર શોટ લગાવીને તમામનું દિલ જીતી લીધું હતું.ત્યારે પંજાબ વતી પ્રભસિમરનસિંહે 100થી વધુની સરેરાશથી 326 રન બનાવ્યા છે તો બોલિંગમાં સિદ્ધાર્થ કૌલે 13 વિકેટ મેળવી છે.વડોદરાની બોલિંગમાં લુકમાન મારિવાલા,અતીત શેઠ,ભાર્ગવ ભટ્ટ અને નિનાદ રાઠવા છે.જ્યારે બેટિંગમાં કેદાર દેવધર અને વિષ્ણુ સોલંકી ઉપર વધુ જવાબદારી રહેશે.આમ ટીમને કૃણાલ પંડ્યાની ખોટ સાલશે.