લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુકેના સ્વામિનારાયણ મંદિરમાં રોજના 1300 લોકોને કોવિડ રસી અપાશે.

યુકેના લંડન ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીને નવું કોવિડ વેક્સિનેશન સેન્ટર બનાવાયું છે.જેમાં પ્રતિદિન 1300 લોકોને કોવિડ-19ની રસી આપી શકાશે.આ મંદિરનો વિશાળ અને વિશિષ્ટ મલ્ટીફંકશન હોલ છે,જ્યાં 20 જનરલ પ્રેક્ટિશનર્સનું ગ્રુપ હાર્નેસ કેર પૂરી પાડશે.

હાર્નેસ કેરના અધ્યક્ષ અને જનરલ પ્રેક્ટિશનર ડો.સચિન પટેલે કહ્યું હતું,આ વેક્સિનેશન સેન્ટર દ્વારા હિન્દુ અને બહોળા પ્રમાણમાં સાઉથ એશિયન સમુદાયમાં એક સંદેશો ફેલાવશે કે વેક્સિન સુરક્ષિત અને અનુમતિ પ્રાપ્ત છે.અમે શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના આભારી છીએ કે તેણે આ સમુદાયો સુધી પહોંચવામાં અર્થપૂર્ણ રીતે મદદરૂપ થવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી એક એવું પ્રથમ હિન્દુ મંદિર છે,જેણે આ પગલું લીધું છે.’

આમ આ મંદિર વર્ષ 2014માં ખુલ્લું મુકાયું હતું અને એ વિશ્વનું પ્રથમ ઈકો-ટેમ્પલ બન્યું હતું,જેનું મિશન ‘ઈન્સ્પાઈરિંગ ધ કમ્યુનિટી’ છે.આ મંદિર દ્વારા નિયમિત રીતે ફંડ એકત્ર કરવાની તથા રક્તદાન જેવી પ્રવૃત્તિઓ યોજાતી રહે છે.એટલું જ નહીં,કોરોના વાઇરસ મહામારીના સમયમાં આ મંદિર દ્વારા રક્તદાન પ્રવૃત્તિઓ થઈ હતી,જેના માટે લંડનના મેયર સાદિક ખાન સહિતના અનેક લોકોએ તેની કામગીરીની પ્રશંસા કરી છે.બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સને 2014માં મલ્ટીફંક્શન હોલનું ઉદઘાટન કર્યું હતું.

આમ આ મંદિરના ટ્રસ્ટી ડો.મહેશ વરસાણી કે જેઓ ખુદ ઈમ્યુનોલોજિસ્ટ અને સેલ તથા જનીન થેરપીના સંશોધક છે.તેમણે કહ્યું હતું કે આ સેન્ટરનો હેતુ સપ્તાહમાં હજારો લોકોને રસી આપવાનો છે.અમે રસી વિશે કહી શકીએ છીએ કે કોવિડ વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે.આ રસી વિશે સાઉથ એશિયન સમુદાયમાં કેટલીક ગેરમાન્યતાઓ સર્જાઈ છે,પરંતુ આ વેક્સિન વિશે કોઈ રીતે શંકા રાખવાની આવશ્યકતા નથી.અગાઉ વર્ષ 2000માં જે રીતે આચાર્ય સ્વામીશ્રી મહારાજે હિન્દુઓમાં અંગદાન અને રક્તદાન વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવા સંદેશો અપાયો હતો એ જ રીતે અમે પણ આ વેક્સિન અંગે આ રીતે સંદેશો ફેલાવી રહ્યા છે.આ ઉપરાંત ડો.વરસાણીએ કહ્યું હતું કે આ વેક્સિનેશન સેન્ટરની પ્રેરણા મંદિરના સ્થાપક આચાર્ય સ્વામીશ્રી મહારાજ પાસેથી મળી છે અને આ કાર્ય માટે અમારા હાલના આધ્યાત્મિક લીડર આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તરફથી ભરપૂર પ્રોત્સાહન મળ્યું છે.જેમણે ખુદ પણ ભારતમાં રસી લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આમ કરીને તેમણે એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે હિન્દુઓ માટે આ રસી લેવી યોગ્ય નથી એવી જે ગેરમાન્યતા સર્જાઈ છે એ દૂર થઈ શકે.