લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રની પરીક્ષા આગામી 15 માર્ચથી,વાર્ષિક પરિણામ માટે પરીક્ષા ફરજિયાત

ગુજરાતમાં તબક્કાવાર શાળા-કોલેજો શરૂ કરવામાં આવી રહી છે,ત્યારે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં ધોરણ 3 થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા આગામી 15 માર્ચથી શરૂ થશે જેમાં વિદ્યાર્થીઓને બોલાવી કલાસરૂમમાં પરીક્ષા લેવાશે.આમ બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખી પ્રથમ સત્ર પરીક્ષા આપવી ફરજિયાત છે.ગુજરાતમાં તબક્કાવાર સ્કૂલો શરૂ થતાં પહેલા ધોરણ 9 થી 12ના ક્લાસ શરૂ કરાયા હતા.ત્યારબાદ ધોરણ 6 થી ધોરણ 8 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું.ત્યારે હવે બાકીના ક્લાસ પણ શરૂ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.ત્યારે રાજ્ય સરકારે ધોરણ 3 થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરતા તમામ સ્કૂલો શરૂ થશે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ- જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ,ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે કે 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે.જેમાં રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3 થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે.આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે અને 15 માર્ચથી પરીક્ષા લેવાની રહેશે.તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે.ગુજરાતી,ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે જ્યારે બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.